કોરોના વાયરસના ખતરાને ધ્યાને લઇને મુખ્યપ્રધાનના સચિવ(CMO) અશ્વિની કુમારે આજે રાજ્યમાં લોકડાઉનની સ્થિતિને લઈ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું કે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યમાં ખાદ્યતેલની અછત ન સર્જાય તે માટે સરકાર હરકતમાં છે. ઉપરાંત તેમણે કહ્યું કે જીનિંગ મિલ, પીલાણ અને ઓઈલ મિલ ચાલુ રાખવા પણ સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યા છે.

 

અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગે આ આદેશ કર્યો છે. મિલો સુધી સામાન લઈ જવા માટે યોગ્ય મંજૂરી અપાશે. કપાસને મિલ સુધી લઈ જવા માટે છૂટછાટ અપાઈ છે. ત્યારે ઓઈલ માટેના પેકિંગ યુનિટ પણ ચાલુ રહેશે. કપાસ પકવતા ખેડૂતોને તકલીફ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

વધુમાં તેમણે કહ્યું કે પોલીસકર્મીનું કોરોનાથી મુત્યુ થાય તો સરકાર 25 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. આ સિવાય આરોગ્યકર્મી, મહેસુલ, નગરપાલિકના સફાઈકર્મીઓ માટે પણ મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો કોરોનાથી સફાઈ કર્મીઓનું મૃત્યુ થાય તો 25 લાખ રૂપિયા સુધીની સહાય અપાશે. આ સિવાય જો અન્ન નાગરિક પુરવઠાના કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થાય તો સરકાર 25 લાખ રૂપિયા સુધી સહાય આપશે. ઉપરાંત તેમણે કહ્યું કે શાકબાજી અને ફળની આવક પૂરતા પ્રમાણમાં છે. રવિવાર હોવાથી 18 જેટલી માર્કેટ બંધ રહી. રાજ્યમાં કુલ શાકભાજીની આવક 58 હજાર 903 ક્વીન્ટલ છે. જ્યારે ફળની આવક 7 હજાર ક્વીન્ટલ છે. અત્યાર સુધી 45 લાખ 38 હજાર ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે.

మరింత సమాచారం తెలుసుకోండి: