જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં રવિવારના રોજ પાંચ આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી ઠાર કરી દેવાયા છે. કુપવાડાના કેરાન સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ઘુસણખોરી કરનારા આ આતંકીઓને એલઓસી નજીકના વિસ્તારોમાં ઠાર કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં ભારતીય સેનાના એક સૈનિક શહીદ થયા છે, જ્યારે બીજા બે સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારે બરફવર્ષાને કારણે આ વિસ્તારમાં ફસાયેલા સેનાના જવાનોને રેસ્ક્યૂ કરી શકાયા નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં સેનાના એક જવાન શહીદ થયા હતા જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. સેનાએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેઓ એલઓસીમાંથી ઘૂસણખોરી કરીને આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સેનાએ કાશ્મીરમાં 9 આતંકીઓને ઠાર કર્યા છે. તેમાંથી ચારને શનિવારના રોજ કુલગામમાં ઠાર કર્યા.
કુપવાડામાં આજે અથડામણનો પાંચમો દિવસ હતો. બુધવારના રોજ આતંકીઓ એલઓસીને પાર કરીને ભારતના વિસ્તારમાં પ્રવેશી ગયા હતા. આ આતંકવાદીઓ ખરાબ હવામાન અને ધુમ્મસનો લાભ લઈને એલઓસીમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા હતા. બુધવારે બપોરે જ આ આતંકીઓને સેનાના જવાનોએ ઘેરી લીધા હતા. એન્કાઉન્ટર પણ થયું હતું પરંતુ ધુમ્મસ અને વરસાદનો ફાયદો ઉઠાવતા આતંકીઓ ઘેરો તોડી નાસી છૂટયા હતા. સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
click and follow Indiaherald WhatsApp channel