મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા સંશોધન (CAA)નું સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે, CAAથી કોઈની પણ નાગરિકતા છીનવાશે નહીં. પરંતુ તેમણે એનઆરસીને લઈને મોદ સરકારને આંચકો આપ્યો છે. થોડા દિવસ પહેલા જ એનઆરસીનું સમર્થન કરવાના સંકેત બાદ અચાનક જ ઉદ્ધવ ઠાકરેએ પોતાનું વલણ બદલ્યું છે. જેનાથી ભાજપ સરકારને ચેતવાની જરૂર છે. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં એનઆરસી લાગુ નહીં થાય. શિવસેના સાંસદ સંજય રાઉતને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, એનઆરસીનો કાયદો મહારાષ્ટ્રમાં અમલી નહીં બનાવવામાં આવે. જોકે મુખ્યમંત્રીએ નાગરિકતા કાયદા પર નરમ વલણ અપનાવતા કહ્યું હતું કે, આ કાયદો કોઈ પણ ભારતીયની નાગરિકતા છીનવતો કાયદો નથી.

ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર હિંદુત્વનો નારો બુલંદ કર્યો છે. તેમણે વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, શિવસેનાએ પોતાની હિંદુત્વની વિચારધારા છોડી જ નથી કે ના તો તેની સાથે કોઈ સમજુતી કરી છે. શિવસેનાના મુખપત્ર સામનાના એડિટર સંજય રાઉત સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, અમે ક્યારેય હિંદુત્વ છોડ્યું જ નથી, ગઠબંધન કર્યું છે એનો અર્થ એ નથી કે અમે ધર્મ બદલી નાખ્યો છે. આ ઈન્ટરવ્યુ 3,4 અને 5 તારીખે તબક્કાવાર પ્રકાશીત કરવામાં આવશે.

અગાઉ શિવસેનાના મુખપત્ર સામનામાં એનઆરસીને લઈને કહેવામાં આવ્યું હતું કે, દેશમાં એનઆરસી પણ લાગુ થવો જોઈએ. ભારતમાં ગેરકાયદે વસતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનીસ્તાનીઓને મોદી સરકારે બહાર હાંકી કાઢવા જોઈએ. શિવસેનાના આ વલણથી મહારાષ્ટ્રની એનસીપી-કોંગ્રેસ સાથેની ગઠબંધન સરકારમાં ગરમાવો આવી ગયો હતો. 

మరింత సమాచారం తెలుసుకోండి: