છેલ્લા ઘણા દિવસથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચાઓને હવે સત્તાવાર સમર્થન મળ્યું છે. આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ એવી રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ની રિલીઝ કોરોનાવાઈરસના કેરને કારણે અનિશ્ચિત સમય માટે પાછી ઠેલી દેવાઈ છે. અગાઉ આ ફિલ્મ 24 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ ગુરુવારે સાંજે અક્ષય કુમાર, રોહિત શેટ્ટી અને ફિલ્મના પ્રોડ્યુસર્સ એવા કરણ જોહર તથા રિલાયન્સ એન્ટરટેનમેન્ટનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી આ ફિલ્મને પાછી ઠેલવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી.

 

‘‘સૂર્યવંશી નામના અનુભવને અમે એક વર્ષ કરતાં પણ વધુ સમયના ડેડિકેશન અને હાર્ડ વર્ક પછી ખાસ તમારા માટે તૈયાર કર્યો છે. ફિલ્મના ટ્રેલરને જે પ્રકારનો ઈલેક્ટ્રિફાયિંગ રિસ્પોન્સ સાંપડ્યો તેના પરથી અમને ખાતરી થઈ ગઈ કે આ ફિલ્મ ખરેખર ઓડિયન્સ માટે જ છે... આ ફિલ્મને તમારી અને તમારા પરિવારની સમક્ષ લાવવા માટે અમે પણ તમારા જેટલા જ ઉત્સાહિત છીએ, પરંતુ અત્યારે ફેલાયેલા COVID-19 (કોરોનાવાઇરસ)ના રોગચાળાને અને અમારી પ્રિય ઓડિયન્સના આરોગ્ય તથા સલામતીને ધ્યાનમાં લઈને અમે ફિલ્મના નિર્માતાઓએ તમારી ફિલ્મ સૂર્યવંશીની રિલીઝને પાછી ઠેલવાનું નક્કી કર્યું છે. એટલે જ સૂર્યવંશી હવે યોગ્ય સમય આવ્યે તમારી સમક્ષ રજૂ થશે. આખરે સલામતી સૌથી પહેલી પ્રાયોરિટી છે. ત્યાં સુધી રોમાંચ જીવતો રાખજો, તમારું ખાસ ધ્યાન રાખજો અને અડીખમ રહેજો. આપણે સૌ આમાંથી બહાર આવી જઈશું. - ટીમ સૂર્યવંશી’’ 


ઉલ્લેખનીય છે કે કોરોનાવાઈરસના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુરુવારે જ દિલ્હી સરકારે પોતાને ત્યાંનાં તમામ સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં અન્ય રાજ્યો પણ આ નિર્ણય લે તો નવાઈ નહીં.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: